ચાર રસ્તાથી શાહીબાગ સોસાયટીના રોડ સુધી
કાંસા રોડ ઉપર ખુલ્લી કુંડીઓ અને કચરાના ઢગલાથી રોષ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા ચાર રસ્તાથી શાહીબાગ સોસાયટી સુધીના રોડની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી માટીના ઢગલા, ગંદકી તથા ગટરની ખુલ્લી કુંડીઓના કારણે રાહદારીઓ અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. રોડ ઉપર પસાર થતા રાહદારીઓને ગટરની ખુલ્લી કુંડીઓમાં પડવાનો સતત ભય સતાવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના રહીશ અને તાલુકા ડેલીગેટ ગોવિંદભાઈ પટેલ સહિત રોડની આજુબાજુના વેપારીઓએ ગત બુધવારે ભેગા થઈ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા ચાર રસ્તાથી શાહીબાગ સોસાયટી સુધી રોડ અને ડિવાઈડર બનાવ્યા બાદ તેમાંથી નીકળેલી માટી રોડની સાઈડમાં આવેલ દિવાલ પાસે નાખવામાં આવી હતી. પરંતુ સમય થતા તંત્ર દ્વારા આ માટીનો કોઈ નિકાલ કરવામાં નહી આવતા દિવાલ પાસે માટીના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ ગટરલાઈનની કુંડીઓના ઢાંકણા હલકી ગુણવત્તાના નાખતા ઢાંકણા જલ્દી તુટી ગયા હતા. ગટરની કુંડીના ઢાંકણા તુટવાના લીધે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વેપારીઓને ખુલ્લી ગટરની કુંડીમાં પકડવાનો સતત ભય સતાવી રહ્યો છે. હાલમાં ખુલ્લી કુંડીઓમાં કચરો ભરાતા ગંદકી ફેલાઈ છે. ગંદકીના લીધે આજુબાજુની દુકાનના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે તાલુકા પંચાયતના જાગૃત ડેલીગેટ ગોવિંદભાઈ એમ.પટેલે વિસનગર માર્ગ અને મકાન વિભાગ તથા વિસનગર નગરપાલિકાના અધિકારીઓને લેખિત રજુઆત કરી રોડની નજીકમાં પડેલા માટીના ઢગલા તથા ગટરની કુંડીઓના તાત્કાલિક ઢાંકણા નાખી રાહદારીઓ માટે નવો ફુટપાથ બનાવવાની માગણી કરી છે. આ સાથે ગોવિંદભાઈ પટેલ તથા રોડની આજુબાજુની દુકાનોના વેપારીઓએ ભેગા મળી તંત્રની નિષ્કાળજી સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમને તંત્ર દ્વારા આ વિસ્તારના વેપારીઓ અને રહીશોને ઝડપી ન્યાય આપવામાં નહી આવે તો આગામી સમયમાં તેનો જડબાતોડ જવાબ આપવાની પણ ચિમકી ઉચ્ચારી છે.