ચેહર એન્ટરપ્રાઈઝના સંચાલકનુ ધમકીભર્યુ વોઈસ રેકોર્ડીંગ વાઈરલ
કેસ કર્યો તો જીંદગીમાં પૈસા પાછા નહી મળે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગર ચેહર એન્ટરપ્રાઈઝનો સંચાલક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવી ઓફીસને તાળા મારી પલાયત થઈ જતા લોકોના પૈસા ડૂબ્યા છે. લોકોનુ કરી નાખ્યા બાદ ભૂગર્ભમાં જતા રહેલા આ સંચાલકે કેસ કર્યો તો જીંદગીમાં પૈસા પાછા નહી મળે તેવુ વોઈસ રેકોર્ડીંગ વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. દિવાળી સુધીમાં પાછો આવી પૈસા પાછા આપી દઈશ તેવી લાલચ આપતા ડીપોઝીટ મુકનાર કેસ કરવો કે નહી તેની વિટંબણા અનુભવી રહ્યા છે.
વડનગર ચેહર એન્ટરપ્રાઈઝનો જીતેન્દ્ર સોની વડનગર અને વિસનગર પંથકમાંથી ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી મોટી રકમ ભેગી કરી અત્યારે ભુગર્ભમાં જતો રહ્યો છે. ગત દિવાળી પછી મહેસાણા એલ.સી.બી.પોલીસે ચેહર એન્ટરપ્રાઈઝમાં રેડ કરી હતી. તે વખતે કોઈ ખોટા નાણાંકીય વ્યવહાર મળી નહી આવતા પોલીસે ડબ્બા ટ્રેડીંગનો કેસ કર્યો હતો. જામીન ઉપર છુટ્યા બાદ આ વ્યક્તિએ ફરીથી પોતાનો ધંધો ધમધોકાર શરૂ કરી દેતા જીતેન્દ્ર સોની ખોટુ કરતો નથી તેવો વિશ્વાસ રાખી લોકોએ ડીપોઝીટ મુકી હતી. ભારત સરકારમાં કાયદેસરનો ધંધો કરતો વ્યક્તિ ટેક્ષ ચોરી કરતા પકડાય તો તેના માટેના કડક કાયદા છે. પરંતુ ઉંચુ વ્યાજ અને ઉંચુ વળતરની લાલચ આપી પૈસા ભેગા કરનાર માટેના કાયદા બોદા હોવાથી નાણાં ઉઘરાવી નાસી જનાર લોકોનો તોટો નથી. પોલીસ કેસ થયા બાદ પણ ડીપોઝીટ ઉઘરાવી પૈસા ભેગા કરી જીતેન્દ્ર સોની નાસી જતા ડીપોઝીટ મુકનાર અત્યારે રાતા પાણીએ આસુ વહાવી રહ્યા છે. ખોટી લાલચો આપી લોકો પાસેથી નાણાં એકઠા કરનાર માટે કોઈ કડક કાયદા નહી હોવાથી આવા લેભાગુ તત્વો લોકોને છેતર્યા બાદ ડીપોઝીટરોને ધમકી આપતા પણ ખચકાતા નથી. કરોડો ભેગા કરી પલાયન થઈ જનાર જીતેન્દ્ર સોનીનુ ધમકી ભર્યુ વોઈસ રેકોર્ડીંગ વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. જીતેન્દ્ર સોનીના રેકોર્ડીંગ મેસેજના શુ શબ્દો છે, શુ જણાવ્યુ છે તે જોઈએ તો, “જય માતાજી, જીતેન્દ્રભાઈ સોનીના રામ રામ, મારા બધાજ સભ્યોને એક નમ્ર વિનંતી કે, હું સાહેબ હવે તમારા બધાના પૈસાના ૧૨ ટકા, ૧૫ ટકા અને ૧૭ ટકા સુધી વ્યાજ ચુકવ્યા છે. એ હુ વ્યાજ ભરી ભરીને હવે એટલી હદે કંટાળી ગયો છુ, કે યાતો તમારા પૈસા કમાઈને પાછા લાવી આપીશ, યા પછી આ છેલ્લા રામ રામ ગણજો. કોઈપણ જાતની ટેન્શન વગર મને એક ત્રણ-ચાર મહિનાનો ટાઈમ આપો. તમારા બધાના પૈસા પાછા આવી જશે અને જો એના બદલે મને લોકો ટોર્ચર કરતા રહ્યા, અત્યારે અહીયાથી બાર જવાનુ એકજ કારણ છેકે, લોકો મને ટોર્ચર કરી કરીને જીવવા દેતા નથી. જો હવે હુ બહાર જાઉ છુ અને અહીયા થીએ જો લોકોએ ટોર્ચર કર્યુ, પોલીસ કેસ કર્યો., ખોટા ચેકના કેસો કર્યા, તો જીંદગીમાં એમના કદી પૈસા આવશે નહી અને જેણે કેસ કરશે એને તો જીંદગીમાં એક રૂપિયો હવે હુ આપીશ નહી. નહી તો શાંતી રાખજો. દિવાળી પહેલા આવીશ અને તમારી દિવાળી બગાડીશ નહી. તમારી બધાની દિવાળી સુધરે એ રીતે બધાના પૈસા પાછા આપી દઈશ. જય માતાજી.”
↧
ચેહર એન્ટરપ્રાઈઝના સંચાલકનુ ધમકીભર્યુ વોઈસ રેકોર્ડીંગ વાઈરલ કેસ કર્યો તો જીંદગીમાં પૈસા પાછા નહી મળે
↧