રેલ્વે અન્ડરબ્રીજમાં પાણીની સમસ્યાનો નિકાલ ક્યારે થશે?
પાલિકાની નિરસતાથી અન્ડરબ્રીજ પહોળો કરવાનુ ચુક્યા-નાગજીભાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં બ્રોડગ્રેજ રેલ્વેના કામમાં તમામ અન્ડરબ્રીજ મોટા કર્યા જ્યારે પટણી દરવાજાનો અન્ડરબ્રીજ યથાવત રાખતા પાલિકાના પૂર્વ સભ્યએ પાલિકા તંત્રને આડે હાથે લેતા જણાવ્યુ છેકે, આ અન્ડરબ્રીજ પહોળો કરવા પાલિકાએ કેમ કોઈ રસ લીધો નહી. અન્ડરબ્રીજમાં ગટરનુ પાણી ભરાઈ રહે છે તેનો નિકાલ ક્યારે આવશે?
મહેસાણા તારંગા બ્રોડગેજ લાઈનના કામમાં વિસનગરની હદમાં આવતા તમામ રેલ્વે અન્ડરબ્રીજ મોટા બનાવવામાં આવ્યા છે. આશાપુરા માતાના મંદિરવાળા નેળીયાના રોડ, સેવાલીયા રોડના નેળીયામાં આવતો અંડરબ્રીજ, છબીલા હનુમાન મંદિર પાસેના નેળીયાનો અન્ડરબ્રીજ તેમજ ગુરૂકુળ રોડ એન.એ.વિસ્તારની સોસાયટીઓના પાણીના નિકાલ માટે શેરડીનગર, સામવેદ સોસાયટીના વરંડા પાછળનો અન્ડરબ્રીજ એમ તમામ અન્ડરબ્રીજ રેલ્વે દ્વારા મોટા બનાવવામાં આવ્યા છે. જ્યારે જે અન્ડરબ્રીજમાં વધારેમાં વધારે લોકોની અવરજવર છે અને વાહન વ્યવહારનો ઘસારો છે તે પટણી દરવાજા સાર્વજનીક સ્મશાન પાસેનો અન્ડરબ્રીજ રેલ્વે તંત્ર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. નવાઈની વાત તો એ છેકે જુનો અન્ડરબ્રીજ તોડી રેલ્વે દ્વારા નવો અન્ડરબ્રીજ બનાવવામાં આવ્યો છતાં તેનુ માપ જુના અન્ડરબ્રીજ જેટલુજ રાખવામાં આવ્યુ છે.
પટણી દરવાજાનો આ રેલ્વે અન્ડરબ્રીજ પહોળો કરવામાં પાલિકા તંત્રની નિષ્ક્રીયતા બાબતે પાલિકાના પૂર્વ પ્રમુખ નાગજીભાઈ રબારીએ જણાવ્યુ છેકે, ભાજપના ગત બોર્ડમાં એમ.એન.કોલેજ, ગંજબજાર ફાટક તથા પટણી દરવાજા રેલ્વે અન્ડરબ્રીજ પહોળા કરવા માટે પાલિકા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રાલય સુધી રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રેલ્વે દ્વારા મંજુરી પણ મળી હતી. પરંતુ રેલ્વે તંત્રએ દોઢ થી બે કરોડ રૂપિયાનો એસ્ટીમેટ આપતાં પાલિકા આ એસ્ટીમેટ ભરી શકી નહોતી. મહેસાણા-તારંગા બ્રોડગેજ રેલ્વેનું કામ ચાલતુ હતુ તે વખતે પાલિકા દ્વારા જો અસરકારક રજુઆત કરવામાં આવી હોત તો આ અન્ડરબ્રીજ પહોળો થાય તેમ હતો. પરંતુ કોંગ્રેસ શાસીત પાલિકાને ભાજપના ધારાસભ્ય અને ભાજપની સરકાર સમક્ષ રજુઆત કરવામાં અહમ ઘવાતો હતો. પાલિકાના કોંગ્રેસનુ શાસન પોતાનો અહમ પોષવામાં લોકહિતમાં અન્ડરબ્રીજ પહોળો કરવાની રજુઆત કરવાનુ ચુક્યુ છે. પાલિકા સભ્યો પોતાના તેમજ અન્ય કામો માટે ધારાસભ્ય કાર્યાલયમાં આવી શકતા હોય તો લોકહિતના કામની રજુઆત કરવામાં કેમ અહમ નડી રહ્યો છે. કોંગ્રેસ શાસીત પાલિકાના ખોટા અહમના કારણે પટણી દરવાજા અન્ડરબ્રીજ પહોળો થઈ શક્યો નથી. જેના માટે કોંગ્રેસનુ શાસનજ જવાબદાર છે.
અન્ડરબ્રીજ નીચે ભરાતા પાણીના નિકાલ માટે ગટર લાઈનનુ કામ ચાલુ છે-ઉપપ્રમુખ ભાવનાબેન રબારી
અન્ડરબ્રીજમાં ભરાતા ગટરના પાણી બાબતે નાગજીભાઈ રબારીએ જણાવ્યુ છેકે, બાઈક કે સ્કુટર બંધ થઈ જાય તેટલુ પાણી ભરાય છે. ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી. ત્યારે આ બાબતે પાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન રબારીએ જણાવ્યુ હતું કે, અન્ડરબ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોની છે. મારી તથા અમારા વિસ્તારના કોર્પોરેટરના પ્રયત્નોથી અત્યારે ગટરના પાણીના નિકાલ માટે નવી પાઈપલાઈન નાખવાનુ તેમજ સીસી રોડ બનાવવાનુ કામ ચાલુ છે.
↧
રેલ્વે અન્ડરબ્રીજમાં પાણીની સમસ્યાનો નિકાલ ક્યારે થશે? પાલિકાની નિરસતાથી અન્ડરબ્રીજ પહોળો કરવાનુ ચુક્યા-નાગજીભાઈ
↧