વિસનગરમાં રથયાત્રાની તૈયારી માટે મીટીંગ મળી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હરિહર સેવામંડળમાં મીટીંગ મળી હતી. જેમાં હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓ, હરિહર સત્સંગ મંડળના યુવાનો, ધર્મપ્રેમી સેવકો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી ભવ્ય રથયાત્રા નીકળે તે માટે ચર્ચા કરી હતી.
વિસનગરમાં અષાઢી બીજે સૌપ્રથમ રથયાત્રા વર્ષ ૧૯૮૧ માં નીકળી હતી. તા.૧૪-૭-૨૦૧૮ ને શનિવારના રોજ ૩૮ મી રથયાત્રા દબદબાભેર શહેરમાં નીકળશે. આ રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તા.૧૮-૬-૨૦૧૮ ને સોમવારના રોજ રાત્રે હરિહર સેવામંડળમાં એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હરિહર સેવામંડળના ટ્રસ્ટી હરગોવનકાકા, દ્વારકેશભાઈ મણીયાર, ઈશ્વરભાઈ નેતા, જયેશભાઈ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, જે.કે.ચૌધરી, અશોકભાઈ રામી, હાસ્ય કલાકાર અતુલભાઈ પટેલ, અન્ય આગેવાન, કાર્યકરો, હરિહર સત્સંગ મંડળ સ્વયંમ સેવક સમિતિના યુવાનો વિગેરેએ હાજરી આપી હતી. રથયાત્રા માટે જમણવાર, લાઈટ ડેકોરેશન, ભજન મંડળીઓની વ્યવસ્થા, અખાડા વ્યવસ્થા, રથયાત્રા માર્ગમાં તોરણ લગાવવા પોલીસ બંદોબસ્ત, રથયાત્રા માર્ગે શરબત, છાસ, પાણી, મહાપ્રસાદ, નાસ્તા વિગેરેના સેવા કેમ્પ વિગેરે વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રથયાત્રા માર્ગે તોરણ લગાવવા, રથયાત્રાનુ સ્વાગત કરવા તેમજ ચા-પાણી નાસ્તાના સેવા કેમ્પો માટે વેપારી મંડળો સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી.
નોંધપાત્ર બાબત છેકે હરિહર સત્સંગ મંડળ સ્વયંમ સેવક સમિતિના યુવકોની ભારે મહેનતથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રાએ આકર્ષણ જમાવ્યુ છે. આ સ્વયંમ સેવક સમિતિના યુવાનો, સંસ્થાના તેમજ દાતાઓના સહયોગથી લગભગ ત્રણ લાખના ખર્ચે વિવિધ આકર્ષણો રજુ કરે છે. આ યુવાનોએ પણ આ વર્ષે નવા આકર્ષણો રથયાત્રામાં જોડાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યુ હતુ. રથયાત્રાના દિવસે દર વર્ષે સવારે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. જે આયોજન આ વર્ષે પણ કરાયુ છે. રક્તદાન કરનાર દાતાઓને જલારામ સેનેટરી તથા આશિર્વાદ પાઈપના સૌજન્યથી કેશરોલ આપવામાં આવશે તેવુ હરિહર સેવા મંડળ દ્વારા જણાવાયુ છે.