વિસનગર માર્કેટ કમિટિ છુટક શાકભાજી વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતા
માર્કેટયાર્ડમાં શાકભાજીના હોલસેલર વેપારીઓ હડતાલ ઉપર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડમાં શાકભાજીના ઓટલા બનાવી જુલાઈ માસથી છુટક શાકભાજીનું વેચાણ શરૂ કરાયુ. જેના કારણે વર્ષોથી શાકભાજીનો વેપાર કરતા હોલસેલર વેપારીઓને છુટક શાકભાજી વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓ અચાનક હડતાલ ઉપર ઉતરી શાકભાજીનું ખરીદ વેચાણ બંધ કર્યુ હતુ. લોકોને સસ્તુ શાકભાજી મળે તે માટે છુટક શાકભાજીના ઓટલા શરૂ કરાયા હતા. ત્યારે હોલસેલના વેપારીઓ હડતાલ ઉપર ઉતરતા તકનો લાભ લઈ છુટક શાકભાજીના વેપારીઓએ ભાવ વધારી દેતા શહેરમાં શાકભાજીના ભાવ વધી ગયા હતા.
વિસનગર માર્કેટયાર્ડમાં છુટક શાકભાજીનો વેપાર શરૂ કરવા માર્કેટયાર્ડ દ્વારા ૧૧૪ ઓટલા બનાવી તેની હરાજી કરી હતી. જે શાકભાજીના ઓટલા ઉપર વેપાર શરૂ કરતા માર્કેટ કમિટિ દ્વારા વર્ષોથી હોલસેલનો વેપાર કરતા વેપારીઓને મૌખીક સુચના આપવામાં આવી હતી કે હોલસેલના વેપારીઓએ ૨૦ કીલોથી નીચે વેચવુ નહી. જ્યારે છુટક વેપારીઓએ ૨.૫ કીલોથી વધુ વેચવુ નહી. હોલસેલના વેપારીઓ જથ્થાબંધ તેમજ છુટક વેપાર કરતા હોવાથી માર્કેટ કમિટિના આવા તધલખી નિર્ણયથી વેપારીઓ નારાજ થયા હતા અને તા.૩-૭-૨૦૧૮ ની સવારથી અચાનક હડતાલ ઉપર ઉતરી ધંધો બંધ કર્યો હતો. હડતાલ ઉપર ઉતરેલા વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો કે, ૧૯૮૭ થી માર્કેટયાર્ડમાં વેપાર કરવા આવ્યા હતા. એ પહેલા જુના શાકમાર્કેટમાં ધંધો કરતા હતા. સ્વ.ભોળાભાઈ પટેલે નવીન માર્કેટયાર્ડમાં પ્લોટ ફાળવી છુટક તથા જથ્થાબંધ વેપાર કરવાની છુટ આપી હતી. તે વખતે પ્લોટ પેટે કોઈપણ પ્રીમીયમ કે ડીપોઝીટ લીધી નહોતી. ફક્ત ભાડા ઉપર દુકાન ફાળવેલ ત્યારબાદ નવી કમિટિઓએ પ્રીમીયમ વસુલ કરેલ હાલની માર્કેટ કમિટિએ નવીન ઓટલા બનાવી છુટક ધંધો બંધ કરવા મૌખીક સુચના આપી હતી. લેખીત માગણી કરી હતી. પરંતુ લેખીત આપ્યુ નહોતુ. હાલમાં ફક્ત ચાર થી પાંચ પેઢીઓજ એવી છેકે જ્યાં ખેડૂતોનો માલ આવે છે. બાકીના વેપારીઓ માલ ખરીદી છુટક તથા જથ્થાબંધ વેપાર કરે છે. એકલો જથ્થાબંધ ધંધો કરવો શક્ય નથી. માર્કેટ કમિટિ દ્વારા હોલસેલરોના ધંધા પડી ભાગે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. નવીન બનાવેલા ઓટલા ખુબજ નાના છે અને ભાડા ખૂબજ ઉંચા છે. હાલતો ધંધો ઓટલા ઉપર શક્ય નથી. બેસવાની વ્યવસ્થા પણ નથી.
આ બાબતે માર્કેટ કમિટિનો સંપર્ક કરતા ડીરેક્ટર હરેશભાઈ ચૌધરીએ જણાવેલ કે માર્કેટના નિતિ નિયમો પ્રમાણે ધંધો કરવા સુચના આપી છે. હોલસેલ વેપાર કરવા જે વેપારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તેમ કેટલાક પેટા ભાડે જગ્યા આપી દિવસમાં રૂા.૧૦૦ થી ૩૦૦ સુધી ભાડુ વસુલતા હતા. એક પ્લોટમાં ચાર થી પાંચ નાના વેપારીઓને પેટા ભાડે જગ્યા બેસવા માટે આપી હોવાનું પણ જોવા મળ્યું છે. જેના કારણે છુટક શાકભાજી વેચાણના ઓટલા બનાવવામાં આવ્યા છે. હડતાલ પાડતા પહેલા વેપારીઓએ માર્કેટ કમિટિને કોઈ જાણ કરી નથી. ખરેખરતો ખેડૂત શાકભાજી લઈને આવે ત્યારે તેની હરાજી કરવી જોઈએ પરંતુ હરાજી નહી થતા ખેડૂતોને ભાવ મળતો નહોતો. આવા કારણોને લઈ છુટક શાકભાજીના ઓટલા બનાવ્યા છે. જે હરાજીમાં હોલસેલર પણ ભાગ લઈ શકતા હતા. એક બે હોલસેલરોએ ઓટલા લીધા છે. ઓટલા શરૂ કરાયા બાદ હોલસેલ વેપારીઓને હોલસેલમાં અને છુટક વેપારીઓને છુટકમાં વેપાર કરવા સુચના આપી હતી.