ઋષિભાઈ પટેલના વિરોધી જૂથે ખેલદીલી દાખવી
ભાજપમાં આવી એકતા-શુભેચ્છા કાયમી રહે તેવી કાર્યકરોની લાગણી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઋષિભાઈ પટેલના વિરોધી જૂથે મુલાકાત લઈને કેબીનેટ મંત્રી બનવા બદલની શુભેચ્છા પાઠવી હતી. એકલ દોકલ નહી પરંતુ એક સાથે જઈને શુભેચ્છા મુલાકાત લઈ જુથની એકતા બતાવી હતી. વિસનગર ભાજપના રાજકીય પ્રતિસ્પર્ધીઓને હસતા મોઢે શુભેચ્છા પાઠવતા જોઈ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવી એકતા અને એકબીજા પ્રત્યેની શુભેચ્છા કાયમી રહે તેવી કાર્યકરોમાં લાગણી પ્રવર્તી હતી.
રમતગમતમાં પ્રતિસ્પર્ધિઓ એકબીજાને હરાવવા તથા હંફાવવા માટે તમામ તાકાત લગાવી દેતા હોય છે. રમતમાં હંફાવવા, સ્પર્ધકોના મનમાં પ્રતિસ્પર્ધિ સામે દુશ્મન ભાવ હોય છે. પરંતુ વિજેતા બનતાજ મનમાં ભાવ બદલાઈ જતા હોય છે અને ખેલદીલીપૂર્વક એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે. પછી સ્પર્ધકોના મનમાં એકબીજા પ્રત્યે કોઈ દ્વેષ કે વેરઝેર હોતુ નથી.
વિસનગરના રાજકારણમાં આવુજ જોવા મળ્યુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલને હંફાવવા વિરોધી જૂથે હાથ મીલાવ્યા હતા. રાજકારણમાં એકબીજાને હંફાવવા એકબાજુ ઋષિભાઈ પટેલ હતા તો સામેના પક્ષે વિસનગરના અદના આગેવાનોએ મોરચો માડ્યો હતો. રાજકારણમાં આગળ નિકળવા અને પાછળ પાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થયા હતા. આ જૂથને અદના નેતાના આશિર્વાદથી ઋષિભાઈ પટેલે પણ નસહન કરવાનુ સહન કર્યુ હતુ. ત્યારે રાજકારણના દાવપેચની સ્પર્ધામાં ઋષિભાઈ પટેલ આગળ નિકળી ગયા અને કેબીનેટ મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ. આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષક તેમજ જળસંપત્તી અને પાણી પુરવઠા મંત્રી બનતા વિસનગરમાંથી મોટી સંખ્યામાં લોકો અત્યારે ઋષિભાઈ પટેલને શુભેચ્છા પાઠવવા ગાંધીનગર જઈ રહ્યા છે. ત્યારે વિસનગરમાં સૌની મીટ ઋષિભાઈ પટેલ વિરોધી જૂથ ઉપર મંડરાયેલી હતી. હવે આ જૂથ શું કરે છે તેની ચર્ચાઓ થતી હતી. ત્યારે તા.૨૪-૯-૨૦૨૧ ને શુક્રવારના રોજ ઋષિભાઈ વિરોધી જુથના પ્રકાશભાઈ પટેલ એસ.કે., રાજુભાઈ પટેલ આર.કે., જશુભાઈ પટેલ કાંસા, રાજુભાઈ ચૌધરી, જે.ડી.ચૌધરી મગરોડા, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, ર્ડા. કાન્તીભાઈ પટેલ, પી.એસ.પટેલ, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન વિગેરે સામે ચાલીને ગાંધીનગર પહોચી મંત્રી ઋષિભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.
રાજકીય સ્પર્ધામાં આ વિરોધી જૂથે ખેલદીલી દાખવી છે. વૃક્ષ ઉપર ફળ આવે ત્યારે નમે છે ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો આ સમય પણ નમવાનો છે. રાજકીય વેતરણ કરતા, રાગદ્વેષ અને ભેદભાવનુ રાજકારણ રમતા સરકારના અદના મંત્રીઓ ઉપર કુદરતનો પ્રકોપ હમણા આજ સરકારમાં જોવા મળ્યો છે. વેતરનારા વેતરાઈ ગયા છે. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે પણ આગળ વધવા દ્વેષભાવનુ રાજકારણ ભુલવુ પડશે. કાનભંભેરણી કરનાર અને ચડાવનાર ઘણા આવશે પરંતુ લીટી ભુસીને ટુંકી કરવી કે લાંબી કરવી તે મંત્રી ઋષિભાઈ પટેલને વિચારવાનુ છે. સારો નરસો સમય તો દરેકનો આવે છે. પરંતુ સારો સમય જેમણે પચાવી જાણ્યો છે તેજ આગળ વધી શકે છે. વિરોધી જુથ મંત્રી ઋષિભાઈ પટેલને શુભેચ્છા પાઠવતા અત્યારે ભાજપના કાર્યકરોમાં ખુશી વધારે જોવા મળી રહી છે. ભાજપના આ આગેવાનો એકબીજાને શુભેચ્છા પાઠવતા રહે અને એક રહે તેવી લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે.