ગાયત્રીનગર સોસાયટીના ૨૫ મકાનોના વિજ ઉપકરણોને નુકશાન
વિસનગરમાં ત્રાટકેલી વિજળીએ મકાનનુ ધાબુ તોડી નાખ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દરમ્યાન ગત મંગળવારે બપોર પછી આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. ધોધમાર વરસાદ પહેલા વિસનગરમાં વિજળી પડતા ગાયત્રીનગર સોસાયટીના લગભગ ૨૫ મકાનોના ઉપકરણોને ભારે નુકશાન થયુ હતુ. વિજળી પડવાથી એક મકાનનુ ધાબુ તુટી ગયુ હતુ. વિજળીનો કડાકો એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
વાયુ વાવાઝોડાની ઈફેક્ટમાં ઉત્તર ગુજરાતમાં તા.૧૭-૧૮ જુન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તા.૧૮-૬ ને મંગળવારના દિવસે વહેલી સવારથીજ વાદળો ઘેરાયા હતા. ભારે બફારા વચ્ચે બપોર સુધી વિસનગરમાં વધતો ઓછો વરસાદ પડ્યો હતો. બપોરે ૪-૦૦ કલાકે શહેરનુ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયુ હતુ. એવામાં વિજળીના ભારે કાટકા સાથે વાદળો ગાજતા લોકો ભયભીત થયા હતા. અવાજ એટલો ભારે હતો કે મહોલ્લાઓમાં પતરા ધૃજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભારે અવાજથી એલ્યુમિનિયમ સેક્શનમાં ધૃજારી જોવા મળી હતી. લોકોને ભૂકંપની યાદ તાજી થઈ હતી.
વિસનગરમાં વિજળી પડતા તેની વધુમાં વધુ અસર મહેસાણા રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં થઈ હતી. આ સોસાયટીમાં લગભગ ૨૫ જેટલા મકાનના ફ્રીજ, ટીવી, ટ્યુબલાઈટ, પંખા, બલ્બ, શબમર્સીબલ પંપ વિગેરે ઉપકરણોને ભારે નુકશાન થયુ હતુ. કેટલાક મકાનનુ વાયરીંગ સળગી ગયુ હતુ. જોકે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ફાયનાન્સનો વ્યવસાય કરતા અલકેશભાઈ આર.પટેલના મકાનમાં વધારે નુકશાન થયુ હતુ. તેમના મકાનમાં વિજ ઉપકરણોને તો નુકશાન થયુજ હતુ પરંતુ બીજા દિવસે સવારે મકાનના ધાબા ઉપર જતા આશ્ચર્યચકીત થઈ ગયા હતા. મકાનના ધાબામાં લગાવેલ ટુકડીમાં એક ફૂટ જેટલી ટુકડી ઉખડી ગઈ હતી. ધાબામાં એક આંગળ જેટલો હોલ પડી ગયો હતો ધાબુ તુટી ગયુ હતુ. અલકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિજળી પડી તે સમયે તેમની દિકરી ઘરની બહાર હતી. વિજળીની જોરદાર પ્રકાશથી આ બાળકીની આંખે એક-બે મિનિટ સુધી અંધારા આવી ગયા હતા. નસીબ જોગે ગાયત્રીનગર સોસાયટીમાં વિજળી પડવાથી કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ આ વિજળીનો કડાકો કાયમ યાદ રહેશે.