(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની વિકરાળ સ્થિતીમાં ભગવાનનું બીજુ રૂપ કહેવાતા કેટલાક તબીબો માનવતા દાખવવાના બદલે કોરોનાના ડરથી ઘરમાં બેસી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને વિસનગરમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબો પોતાની ટીમ સાથે છેલ્લા ૨૦ દિવસથી કોઈપણ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર જીવના જોખમે કાંસા, ઈયાસરા, વાલમ સહિત આજુબાજુના ગામોના દર્દીઓની દવા સાથે વિનામુલ્યે સારવાર આપી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં વિસનગરના આ તબીબ પરિવારોની માનવતાની સુવાસ સમગ્ર પંથકમાં ફેલાઈ છે.
શહેરના કેટલાક તબીબો કોરોનાના કપરા સમયમાં માનવતા દાખવવાના બદલે કોરોનાના ડરથી ઘરમાંબેસી રહ્યા છે
વિસનગર તાલુકામાં કોરોનાની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે કોરોના કેસોની સંખ્યાની સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓથી સરકારી તથા ખાનગી કોવિડ હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. ગામડાના ગરીબો, નિરાધારો, વૃધ્ધોને તબીબી સારવાર લેવા માટે ભારે રઝળપાટ કરવી પડે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેમની પાસે બે ટંક ખાવાના પૈસા પણ નથી. આવા ગરીબ દર્દીઓ સારવારના અભાવે મૃત્યુને ભેટી રહ્યા છે. મહામારીની આવી કપરી સ્થિતીમાં ભગવાનનું બીજુ રૂપ કહેવાતા કેટલાક તબીબો ગરીબ અને નિરાધારોની સેવા કરી માનવતા દાખવવાના બદલે કોરોનાના ડરથી ઘરમાં બેસી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને વિસનગરમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા સર્જન ડા.અરૂણભાઈ રાજપૂત અને આંખના સર્જન જાણીતા ડા.વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડા.આકાશ પટેલ અને ડા.તોરલબેન પોતાની ટીમ સાથે સૌ પ્રથમ કાંસા ગામની ઉમિયા માતાની વાડી, સતી માતાની વાડી તથા ગણપતિ પરામાં શરદી, ખાંસી, તાવ તથા કળતરના દર્દીઓની દવા સાથે વિનામુલ્યે સારવાર શરુ કરી હતી. સારવાર દરમિયાન કેટલાક શંકાસ્પદ કોરોનાના દર્દીઓને જરૂરી રિપોર્ટ કરાવવાની સલાહ આપતા હતા. અને રિપોર્ટ આવ્યા બાદ તે દર્દીને ઘરે બેઠા સારવાર આપી રહ્યા છે. સારવાર લેતા દર્દીની સવાર-સાંજ બે ટાઈમ તપાસ કરે છે. કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય તો તેમને ઘરે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી તેની દેખરેખ રાખે છે. ગામના આ તબીબોની સેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત ડા.અરૂણભાઈ રાજપૂત, ડા.આકાશ પટેલ અને ડા.તોરલબેન સહિતની ટીમ વાલમ અને ઈયાસરા ગામમાં પણ તાવ, શરદી, ઉધરસના દર્દીઓની પણ દવા સાથે વિનામુલ્યે સારવાર કરી ગામમાં કોરોના સંક્રમણ અટકાવવાનું સમાજસેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સઘ સેવા ભારતી વિસનગર, વિસનગર મેડીકલ એસોસીએશન ટીમ, એ.પી.એમ.સી.ના ડીરેક્ટર પ્રિતેશભાઈ પટેલ, ન્ઝ્ર્્ કોલેજના રાકેશભાઈ પટેલ, પી.કે.પટેલ, અશોકભાઈ, પ્રશાંતભાઈ, જતીનભાઈ, જયંતિભાઈ જી.પટેલ, બ્રિજેશભાઈ તથા વાલમના યુવા કાર્યકરો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓનો સર્વે કરી તેમને તબીબી સારવાર અપાવી ગામમાં કોરોના સંક્રમણને રોકવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યારે કાંસા ગામમાં સરપંચ ભરતભાઈ પટેલ (ગામી), તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલ, પી.કે.પટેલ, ઉપસરપંચ દિપકભાઈ પટેલ, દિલીપભાઈ જી.પટેલ સહિત પંચાયતના સભ્યો ગામમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, અત્યારે તબીબી સારવાર મોંઘી થઈ છે. જેમાં વળી કોરોના કાળમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને હોસ્પિટલમાં તબીબી સારવાર લેવી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ત્યારે આવા કપરા સમયમાં કાંસાના બંન્ને તબીબ પરિવારો તેમની ટીમ સાથે ગામમાં જઈ કોરોના સંક્રમણની ચિંતા કર્યા વગર વિનામુલ્યે સારવાર આપતા હોવાથી વિસનગર પંથકમાં લોકો તેમની નિઃસ્વાર્થ સમાજસેવાની ભારોભાર પ્રસંશા કરી રહ્યા છે. તાલુકાના બીજા ગામોના આગેવાનો પણ પોતાના ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામજનોને ઘર આંગણે તબીબી સારવાર આપવા પ્રયત્નો કરવા જોઈએ.