રૂપાલાની સભામાં પથ્થરમારાએ ઋષિભાઈની તકદીર બદલી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મતદારો હવે જાગૃત થયા છે. નકારાત્મક વલણ અપનાવતા નથી તેવુ વિસનગરમાં રૂપાલાની સભામાં પથ્થરમારા બાદ ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલની જીત ઉપરથી સાબીત થાય છે. ઋષિભાઈ પટેલની આટલી પાતળી સરસાઈની જીત ઉપરથી એમ કહી શકાય કે પથ્થરમારો થયો ન હોત તો પરિણામ કોંગ્રેસ તરફી આવ્યુ હોત. આજના જમાનામાં મતદારો અણછાજતું, જોહુકમી અને મનમાની ભર્યુ વલણ ચલાવવા તૈયાર નથી. વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલને પાટીદારોનો ફુલ સપોર્ટ હતો. મહેશભાઈ પટેલની ગામડાઓની સભાઓ અને લોકસંપર્ક બાદ તેમની જીત નિશ્ચીત કહેવાતી હતી. તા.૧૦-૧૨ ના રોજ રેલ્વે સ્ટેશન સર્કલ પાસે કેન્દ્રીય મંત્રી રૂપાલાજીની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ હતી. જેમાં પાટીદારોની સંખ્યા ઓછી હતી પરંતુ ઠાકોર, ચૌધરી, રબારી તથા અન્ય સમાજના લોકોની સંખ્યા વધારે હતી. રૂપાલાજીનુ ભાષણ ચાલુ હતુ ત્યારે સભા તોડવા થાળી વેલણથી વિરોધ કરાતા ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવતા આવા હોબાળામાંથી સભામાં હાજર શ્રોતાઓ સભાસ્થળ છોડી જતા રહેશે તેમ જણાતુ હતુ. પરંતુ સભામાં હાજર અન્ય સમાજના લોકો આવુ નકારાત્મક રાજકારણ ચલાવી લેવા માગતા નહોતા. સભાસ્થળ છોડીને જતા રહેવાની જગ્યાએ શ્રોતાઓ સભાસ્થળ ઉપર મક્કમતાથી ઉભા રહ્યા હતા. આ વખતે ભાજપમાં અન્ય સમાજના લોકોનો સપોર્ટ હતો. ત્યારે સભા તોડવા થાળી, વેલણ અને પથ્થરમારાનુ નકારાત્મક વલણ અપનાવતાજ ભાજપની પડખે લોકો વધુ મક્કમતાથી આવી ગયા હતા. સભા તોડવાના આ વલણને પાટીદાર બુધ્ધીજીવી વર્ગે પણ વખોડ્યુ હતુ. ભાજપની સભા તોડવાના આવા નકારાત્મક વલણ બાદ અન્ય સમાજના લોકો કે જે થોડા ઘણા કોંગ્રેસ તરફ હતા તેમની લાગણી ભાજપ તરફ વળી હતી. આજ કારણને લઈ ભાજપ તરફે મતદારોની સંખ્યા વધી હતી. જેથી અત્યારે ઋષિભાઈ પટેલ પાતળી સરસાઈથી જીતતા એવુ કહેવા છેકે પથ્થરમારાએ ઋષિભાઈ પટેલની તકદીર બદલી.